You are currently viewing શરીર દઝાળતી ગરમીમાં લૂથી બચવાના ઉપાયો, હવામાન વિભાગની સલાહ, આટલું કરો

શરીર દઝાળતી ગરમીમાં લૂથી બચવાના ઉપાયો, હવામાન વિભાગની સલાહ, આટલું કરો

તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જે બાદ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો શેકાઈ રહ્યા છે. ત્યારે આ હીટ તથા તાપમાનથી બચવા તેમજ કાળજી રાખવા માટેના ઉપાયો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા છે.

લૂથી બચવા અપનાવો આ ટ્રીક : ઉનાળામાં લાગતી લૂથી બચવા માટે તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવુ. વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે, જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો. આ સાથે વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા જોઇએ.

જો તમે ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. લૂ લાગવાની સૌથી વધુ સંભાવના બાળક, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિમાં હોય છે. જેથી આવા તમામ વ્યક્તિની વિશેષ કાળજી લેવી જોઇએ.

કામદાર અને નોકરીદાતાઓએ આટલું ધ્યાન રાખવું : કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્વ પાણી, છાશ, ORS, પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી જોઇએ. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી તેમજ વધુ મહેનત લાગે તેવું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું જોઇએ.

બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારવી. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી, તેમને હળવું તેમજ ઓછી અવધી માટે કામ આપવું. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું જોઇએ.

કામદારોને હીટ વેવ એલેર્ટ વિશે માહિતગાર કરવા જોઇએ. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહી, ઘરગથ્થુ ઉપાય કરવા. જેવા કે કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરુ નાખેલું કચુંબર લૂ લાગવાની શક્યતા ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરવો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા જોઇએ. કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવવું. કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો, જેથી ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘદડી શકાય છે.

સૂકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. પાણીનાં સ્ત્રોતનું રક્ષણ કરવું અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા કરવી. ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પીક સ્ત્રોતનો ઉપયોગ કરવો. જો ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘરના કોઇપણ સદસ્યને જાણ કરવી જોઇએ.

ઘરમાં ઠંડક રાખવા આટલું કરો : ઘરની દીવાલોને સફેદ રંગથી રંગવી. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે કૂલ રુફ ટેકનોલોજી, હવાની અવર-જવર માટે ક્રોસ વૅટીલેશન અને થર્મો કૂલ ઇન્સુલેશનનો ઉપયોગ કરવો. સૂકા ઘાંસની ગંજી છત ઉપર રાખવી અથવા છત ઉપર શાકભાજી પણ ઉગાડી શકાય છે. ઘરની બારીઓ ઉપર સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનીયમ ફોઇલ કવર વાળા પૂંઠા લગાવવા અથવા ઘેરા રંગના પડદા બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત 1 જ બારી ખોલો. બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહવું જોઇએ.

લીલા રંગના છાપરા મકાનને કુદરતી ઠંડુ રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે. એયર કંડીશનરનું તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો, જેથી વિજળીનું બીલ ઓછુ આવે અને સાથે સ્વસ્થતાનું પણ ધ્યાન રાખી શકાય છે. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. જાડી દીવાલનું ચણતર કરવું, જે ઘરને અંદરથી ઠંડુ રાખશે. નીચેથી જાળીદાર દીવાલ ચણતર કરો કે જે ગરમીને અટકાવે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલને રંગવા માટે ચૂનો અથવા કાદવ જેવા કૂદરતી સામગ્રીનો ઉપયોગ કરવો જોઇએ.

લૂ લાગે તો કઈ સારવાર કરાવી: ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું. વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થય કેન્દ્ર ઉપર લઇ જવા. જો શરીરનું તાપમાન એકધારુ વધતું હોય, માથામાં અસહ્ય દુખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઊલ્ટી થતી હોય કે, બેભાન થઈ ગયો હોય, તો તાત્કાલિક એમ્બ્યુલસ બોલાવવી જોઇએ.

લૂથી બચવા આટલું ટાળો : બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું. ના છૂટકે બપોરના સમયે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી. ખુલ્લા પગે બહાર ન જવું. આવા સમયે રસોઇ ન કરો, બને તો રસોઈ વહેલા કરી લેવી. રસોડામાં હવાની અવર-જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખવા. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ લેવાનું ટાળો. પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો. આ ઉપરાંત પાર્ક કરેલા વાહનમાં પાળતુ પ્રાણી કે બાળકોને એકલા ન રાખો. વધારે પડતી રોશનીવાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ન હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખવા જોઇએ.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply